સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વના ફલક પર પહોંચી ચુક્યો છે. દુનિયાનો કોઈ જ એવો દેશ નહિ હોય કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિજય ધ્વજો ન લહેરાતા હોય. આ બધુ જ થવાનું મૂળ કારણ એક જ છે ભગવાન સ્વામિનારાયણ અને તેમના દિવ્ય સત્પુરુષોના સંકલ્પોનો અવિરતપણે ચાલતો પ્રવાહ. એમના સંકલ્પોમાં એક અદ્દભૂત દિવ્ય શક્તિ રહેલી છે. લૌકિક દ્રષ્ટિએ એમના કરેલા સંકલ્પોમાં વિશ્વાસ ન આવે તથા એનો હેતુ ન સમજાતા એમાં સંશય થાય. પરંતુ એવો સમય આવે છે કે જ્યારે એ સંકલ્પો પ્રચંડ વેગધારી વિરાટ સ્વરુપ ધારણ કરી દ્રશ્યમાન બને છે ત્યારે એ સંકલ્પોની તથા સંકલ્પો કરનાર એવા દિવ્ય સત્પુરુષોની મહાનતાનો ખ્યાલ આવે છે. સ્વામિનારાયણ ધામ પરિસરના નિર્માણમાં પણ આવો જ કોઈક ઈતિહાસ સુવર્ણ અક્ષરે કોતરાયો છે જે આ વાતની સાક્ષી પુરે છે.
ઇ.સ. ૧૯૮૧ થી ઇ.સ. ૧૯૯૬ સુધીના ૧૫-૧૭ વર્ષના ગાળા દરમ્યાન પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી જયારે જયારે ગાંધીનગર પધરામણી કે પ્રોગ્રામ નિમિત્તે ગાડીમાં પધારે ત્યારે દર વખતે પ.પૂ.બાપજી, પૂ.સ્વામીશ્રીને લગભગ આ સ્વામિનારાયણ ધામનું સ્થળ આવતાં જણાવે કે, સ્વામી, શ્રીજીમહારાજનો પોતાના દિવ્યકારણ સત્સંગના સર્વોપરિ પ્રચારના ભવ્ય સ્થાનનો અહીં સંકલ્પ છે. જો જો, મહારાજ જરૂર ભવિષ્યમાં અહીં બિરાજશે. આમ અવારનવાર ઘણી વખત આ વાત પ.પૂ.બાપજીએ જણાવેલી.
ગુરુભક્તિનું સાક્ષાત સ્વરુપ એટલે પૂ.સ્વામીશ્રી. પ.પૂ.બાપજીના આ સંકલ્પને પૂર્ણ કરવાનુ બીડુ પૂ.સ્વામીશ્રીએ ઝડપ્યું. જે ભૂમિ ઉપર મોટું ધામ બનાવવાનો સંક્લ્પ પ.પૂ.બાપજીએ જણાવ્યો હતો એ વિશાળ ભૂમીને પ્રાપ્ત કરવાનું એક અદ્દભૂત સાહસ પૂ.સ્વામીશ્રીએ હાથ ધર્યુ. પ.પૂ.બાપજીનો સંકલ્પ મોટુ ધામ કરવાનો હતો એટલે દિન પ્રતિદિન એક પછી એક નવી જમીનો ખરીદી આ “સંકલ્પ ભૂમી”નો વિસ્તાર વધારતા ગયા. આ ભૂમી પ્રાપ્ત કરવામાં ઘણા બધા વિઘ્નો ઉદ્દભવ્યા હતા પરંતુ શ્રીજી મહારાજનો સંકલ્પ પ્રબળ હતો તેથી કોઈ જ વિઘ્નો સફળ બની શક્યા નહિ. અને અંતે પ.પૂ.બાપજીનો સંકલ્પ પૂર્ણ થવાનો પ્રારંભ થયો તારીખ 25/04/1998 ને શનિવારના રોજ પ.પૂ.બાપજીના અદ્દભૂત સંકલ્પનું સમગ્ર સત્સંગ સમાજને દર્શન કરાવવા પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્ય હેઠળ આ “સંકલ્પ ભૂમી”ના “ભૂમી દર્શન સમારોહ”નું આયોજન થયું. આ મંગળ પ્રસંગે પ.પૂ.બાપજીએ સ્વમુખે આ “સંકલ્પ ભૂમી”નો મહિમા જણાવતા આ દિવ્યભૂમીનું “સ્વામિનારાયણ ધામ” એવું શુભ નામાભિધાન કર્યું.